Sunday, June 29, 2014

પોસ્ટ ૨: કેટલા કમાય છે

(ફૂલછાબ - પંચામૃત - 30 સપ્ટેમ્બર, 2015)

આજના જમાનામાં ‘પૈસા કમાવવા’ એ દરેક વ્યક્તિનું એકમાત્ર અને મુખ્ય કાર્ય બની ગયું છે. સહમત કે આ જમાનામાં યોગ્ય રીતે જીંદગી જીવવા, માણવા કે વિતાવવા પૈસા ખુબ જ અનિવાર્ય છે. પરંતુ કયારેક આ ખનખનિયાના ચળકાટથી માણસની આંખો અંજાઈ જવાથી તે જીંદગીના અન્ય રંગો જોવાનું ચુકી જાય છે. ફાયદા વગરના નિસ્વાર્થ સંબધો કે કમાણી સિવાયની પ્રવૃતિઓ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે એમાં કશું ખોટું નથી, પરંતુ અફસોસ કે આ જગતમાં સફળતાને ત્રાજવે તોળવા સામે પૈસાના વજનની જરૂર પડે છે. કોઈપણ જાતની પાત્રતા, યોગ્યતા કે લાયકાત ન ધરાવનાર અને ફક્ત બાપના પૈસે પૈસાદાર બનનારને સફળ ગણી સલામ ઠોકવામાં આવે છે, જયારે સંસ્કાર, સિધ્ધાંત, શાણપણ કે સમજણ અને પુરતી લાયકાત, સંપૂર્ણ અભ્યાસ કે ભારોભાર આવડત ધરાવનાર વ્યક્તિ પાસે પૂરતા પૈસા ન હોય તો તેમની સામેથી નજર ફેરવી લેવાય છે.

આજનો સમાજ કોઈપણ વ્યક્તિનો પરિચય માગશે ત્યારે ‘તે શું કરી શકે તેમ છે’ એના બદલે ‘તે શું કરે છે’ એમ પૂછીને એ વ્યક્તિના ભવિષ્યના ફેરફારની સંભાવનાને તદ્દન અવગણીને ફક્ત વર્તમાનની ઈમેજને ધ્યાનમાં લઇ પાસ – નાપાસનો રીમાર્ક મુકે છે. અને આથી જ યુવાવર્ગ પોતાનામાં રહેલી સર્જનાત્મકતાને યોગ્ય રીતે મઠારવામાં, પોતાના શોખ કે પસંદ અનુરૂપ ધંધો શોધવામાં કે પોતાની આવડત કે લાયકાત અનુસાર નોકરી મેળવવામાં ઉતાવળ કરી બેસે છે. બેકાર – બેરોજગાર કે રખડુંના મેણા-ટોણા સાંભળવા ન પડે એટલે ઉંચા પગારવાળી નોકરી કે થોડોક સમય બજારનો અભ્યાસ કર્યા બાદ સ્વત્રંત ધંધો કરવા ઈચ્છતો યુવાવર્ગ સમાજની બીકે જેવી તેવી નોકરી કે ધંધો સ્વીકારી લે છે. કારણ સમાજનું સફળતાનું માપદંડ ‘કેટલા કમાય છે’ તે જ છે. ફક્ત પૈસાની થપ્પીઓની ઊંચાઈ ને બદલે જિંદગી કેટલી આનંદથી જીવાય છે તે જોવું જરૂરી છે. ‘કેટલા કમાય છે’ ને બદલે ‘કમાયેલા ક્યાં વાપરે છે’ તેનો આધાર સફળતા પર વિશેષ છે. પૈસા કમાવવા જરૂરી છે, ભેગા કરવા નહિ. પૈસો પ્રાથમિક જરૂરિયાતની સાથે જીવનનું પ્રાથમિક ધ્યેય પણ બની જાય ત્યારે પેટ બળતરા થાય છે. નીતિમતા અને ગુણવતાને એકબાજુ મૂકી સૌ કોઈ એક જ ધ્યેય સાથે જીવે છે, વધુને વધુ પૈસા કમાવા. પૈસો એ પ્રાથમિક જરૂરિયાત છે પરંતુ જિંદગીના ક્રમમાં નજર નાખશો તો ખ્યાલ આવશે કે મહામુલી જિંદગીનો મુખ્ય ધ્યેય ‘પૈસો’ બનો ગયો છે.

સમાજ કે કુટુંબમાં પૈસા વાળાને સ્પેશીયલ ટ્રીટમેન્ટ મળશે. લગ્ન કે અન્ય પ્રસંગમાં પૈસાવાળો જાણીતો કે સગો આવે તે માટે તેને રૂબરૂ આમંત્રણ અપાશે, પ્રસંગ પહેલા બે વાર આજીજી પૂર્વક આવવાનું યાદ દેવડાવાશે, એ આપડે ત્યાં આવવાનાં છે તેનો ઢંઢેરો પીટાશે અને આવશે તો તેને બધી જ સગવડતા અપાશે અને તેના માટે બધી જ અગવડતા ભોગવશે. નહિ આવે તો એ તો બહુ 'બીજી' હોય એમ કહી તેનો ન આવવા બદલ કોઈ ધોખો ન કરીને ફરીથી બીજી વખતે તે આપડે ત્યાં હાજર રહે તે માટે બધા જ પ્રયત્નો કરાશે જયારે એના જેટલો જ સગો કે સંબધી પૈસા વાળો નહિ હોય તો પોસ્ટથી આમંત્રણ મોકલી, આવે કે ન આવેનો કોઈ વિચાર ન કરી જયારે પ્રસંગમાં તે આવે ત્યારે તેને એની મેળે મૂકી દઈ તે આવ્યાં કે ન આવ્યાં પર કોઈ ઉચિત ધ્યાન ન આપી ને અપમાનજનક વ્યવહાર કરાય છે અને જો તે કોઈ સબળ કારણ અનુસાર પણ પ્રસંગમાં હાજર ન રહે તો તેને ધોખો કરી, તારે ત્યાં પ્રસંગ આવશે ત્યારે નહિ આવીએની ધમકી દેવાય છે. સમાજમાં   આવા આર્થિક સ્થિતિને આધારે કરતા ભેદભાવથી પૈસાનો દેખાડો અને પૈસાનું બિનજરૂરી પ્રદર્શન વધી ગયું છે. જરૂર હોય ત્યારે પેલો પૈસાવાળો પાસે ઉભો રહેશે કે કેમ તેની શંકા છે છતાં પૈસાવાળાને બિનજરૂરી મહત્વ આપી આપડે જ સામાજિક અને પારિવારિક વાતાવરણ બગાડતા હોઈએ છીએ. વ્યક્તિને મૂલવવા ટાણે નોલેજ, સમજણ કે અનુભવને બદલે નાણા, સત્તા કે હોદ્દાથી અંજાય જવાય છે.

સમાજ પૈસાવાળાને એવી રીતે રાખે છે અને માને છે જેથી બીજા બધા વિચાર્યા વગર પૈસાવાળાની પાછળ ઢસડાવાનું શરુ કરે છે. પૈસાવાળાને અપાતા બિનજરૂરી વધુ માનથી બીજા પણ તેના જેવા થવા પ્રેરાય છે. જલ્દીથી પૈસાવાળા થઇ જવા શોર્ટકટ લેવાય છે. વધુ પડતા કામ અને ટેન્શનથી વેલ્થ માટે હેલ્થ પર ખરાબ અસર પડે. ટેન્શન અને અન્ય માથાકૂટ ભૂલવા વ્યસનના રવાડે ચડે. વ્યાજના ચકરડા ચાલુ થઇ જાય અને હોય તેમાંથી'ય ઓછું થાય. પૈસો જ સર્વસ્વ નથી એવું જાણતા આપણે સૌએ એ સત્યને માનતાં થવું જરૂરી છે. સ્વભાવ, વ્યવહાર, વિવેક, સમજણ, આયોજન, આનંદ, સંયમ, સહકાર, નીતિ જેવું'ય કંઈક છે અને તે બધું આ ખનખનીયા કરતાં કેટલાય ગણું વધુ મહત્વનું છે. વિચારજો.