Sunday, October 23, 2016

પોસ્ટ 13: ભાવ ખવાય નહિ ને' ખાતા હોય એને દેવાય નહિ

ઘણાને ભાવ ખાવાની ટેવ હોય અને ઘણાને આવા ભાવ ખાનારને ભાવ દેવાની ટેવ પડી હોય. ઘણા એવા હોય એ વાત વાતમાં મોણ ખાતા હોય એને નાની નાની વાતમાં વાંકુ પડતું હોય અને એની આજુબાજુનાં કેટલાંક એમની હા એ હા કર્યે રાખી એનો ઈગો પોસતાં હોય છે. હું માનું એ જ સાચુ એવું એ માનતા હોય અને વારે તહેવારે એક યા બીજી રીતે બધાને ખડે પગે રાખવાની એને આદત પડી હોય. બીજાને સામેથી બોલાવવા, વિનય વિવેક રાખવો, બીજાને ગમે તેવું કરવું, બીજાની પસંદગીને પણ માન આપવું વગેરે એમને આવડતું જ ન હોય. ઉંમર એ એની એક માત્ર લાયકાત હોય છતાં મોટા હોવાનો અને મોટા થવાનો એમને ગજબનો અભરખો હોય. એમના મનમાં બીજા બધા ઉંમરમાં તેમજ બીજી બધી રીતે નાના એટલે કે તુચ્છ છે એવું ભરાય ગયું હોય. 

વાર વીઘા વેચીને પરશેવા વગરના આવેલા રૂપિયાનો એમને વા હોય. પૈસા કે હોદ્દાથી આવેલી નજીવી પ્રસિધ્ધિ એમને પચતી ન હોય. પોતાનો મૂળ કામ ધંધો ભૂલી જઈ ગામની પંચાતમાં એમને ઘડીની નવરાશ ના હોય. એમના વાત વર્તનમાં ન્રમતાનો સદંતર અભાવ હોય. એમનો ઈગો એમને લેટ ગો કરવા જ ન દેતો હોય. વાંચન કે વિચાર સાથે એને કશી જ લેવાદેવા ન હોય એટલે સમજણ કે  શાણપણ સાથે એમને બનતું જ ના હોય. કોઈ બાબત વિશે લાબું વિચારવું કે બીજાનું માનવું કે નિરાંતે સમજવું એમને ફાવતું જ ન હોય. જતુ કરવાને બદલે એ જોઈ લેવામાં વધુ માનતા હોય. હશે ના બદલે શું કામ સાથે એ લડી લેવાના મૂડમાં જ હોય. બાંધછોડ કે સમાધાન એના શબ્દકોશમાં જ ના હોય. એ'ય ખોટા હોઈ શકે એવું એ ક્યારેય માને જ નહિ. એને બધે જ ગમે તેમ કરીને જીતવું જ હોય. 
 ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 19 ઓક્ટોમ્બર, 2016
આવા લોકોની હા એ હા કરવાથી જ આ લોકો આવા થયા હોય. ચારેકોર બેસીને એને સાચોખોટો પાનો ચડાવ્યા રાખી ફૂદકે ચડાવ્યા હોય. એને સાચેસાચું કે મોઢેમોઢ કોઈ કશું જ કહેતું ના હોય અને એટલે જ એની કારી ફાવતી હોય. એમના ઈગોને સંતોષવામાં આવતો હોય, પોસવામાં આવતો હોય એટલે સમય સાથે એનો ઈગો કાબુ બહાર મોટો થઇ ગયો હોય. એમની ભૂલ વખતે એમને કોઈએ ટપાર્યો ના હોય, પાછો ના વાર્યો હોય એટલે એમને ખુદને પણ સાચાખોટાનો ભેદ ખબર ના હોય. એમનાં નજીકના જ આંખે થઇ જવાની બીકે એમને સાચું કહેતા કે સમજાવતાં ડરતા હોય. લેભાગુઓ આવા અણસમજુઓનો ટેકો લઇ પોતાનું ધાર્યું કરાવી લેતા હોય. આવાઓના ખભે બંદૂક રાખી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય. પેલાને પોતાનો ઉપયોગ થઇ ગયો એવી જાણ કે સમજ પણ ના હોય. 


આવા લોકોની આજુબાજુ જ રહેતા, એમના જ ગણાતા, એમના જ નજીકનાઓ પોતાની મોજમજા કે પાલી હલાવવા એમના સ્વભાવને પ્રોત્સાહિત કરતા હોય છે. એમની પાસે સારા થઇ જઈ એમને બીજે સારા થઇ જવું હોય. થોડુંઘણું સહન કરીને પણ આવા ખોટાઓની સામે પડવું પડે. એમને એમની ઔકાત બતાવવી કે સમજાવવી પડે. એમને અવગણીને એમની શાન ભાન ઠેકાણે લાવવી પડે. સમાજમાં આજુબાજુ આવા અણસમજુ ભાવ ખાતા હોય, હવામાં હોય તો તેને પવન દઈ ઉડાડવાને બદલે નકામો ભાવ ન દઈ એની ઉપેક્ષા કરવામાં જ શાણપણ છે. આવા ફાકો લઇ ફરતા લવિંગિયાઓને હવા દઈ ફૂટવા ન દેવાય, એનું સુરસુરિયું જ કરાય. વિચારજો.     

6 comments: