Wednesday, November 16, 2016

પોસ્ટ 15: પૈસા - ગમે ત્યારે બદલી જાય, ગમે તેને બદલી નાખે

(ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 16 નવેમ્બર, 2016) 

મોટીમોટી કે ખોટેખોટી વાતો હાંકતો માણસ હોય એવો આખેઆખો પૈસાના વ્યવહાર વખતે બહાર આવે. પૈસા જ એક એવું માધ્યમ છે જે માણસને ઉઘાડો કરે. સંબંધ, સહકાર, સહાયનો ઉપરછલ્લો દેખાડો કરતાં હોય એનો અસલી સ્વભાવ અને મૂળભૂત મિજાજ પૈસાની વાતે જ હોય એવો પ્રગટે. 

કેમ, ક્યાંથી વધુ અને જલ્દી મળે એની ગણતરીઓ સૌ કોઈને આવડે જ છે. ગમે તેવો સત્યવાદી કે સિધ્ધાંતવાદી પણ પૈસા બાબતે ગપશી શકે. અપવાદો હોવાનાં પણ સામાન્ય રીતે, સામાન્ય માણસ પૈસાની બાબતે સ્વાર્થી બની જાય એવું આપણે સૌએ ક્યાંક કે કયારેક અનુભવ્યું હશે. અને અત્યારનો સમય આ પૈસા બાબતે માનવસહજ સ્વભાવ જાણવા યોગ્ય છે. પાંચશો હજારની નોટ બંધ થયા બાદ બજારમાં ધોળાને ધોળા રાખવા અને કાળાને ધોળા કરવા સૌ મશગુલ છે ત્યારે સૌની પોતપોતાની પૈસાકીય ગણતરીઓ જોવા જાણવા સમજવાની મજા આવે, જેમાં પૈસાની સાથે માણસ પણ સમજાશે. નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધી સૌ કોઈ આ ચાલતી ટ્રેનમાં ચડવા દોડવા લાગ્યા છે, કેટલાંક ટ્રેનમાં બેસી ગયા છે, કેટલાંક દોડીને ચડી જશે, કેટલાંક કોઈકને ચડાવવા હાથ આપશે, કેટલાંકને ચડતા બીજા કેટલાંક રોકશે અને કેટલાંક રહી જશે. જેની પાસે નથી એ અને જેની પાસે છે એ બંનેને એકબીજાની જરૂર ઉભી થઇ છે. બંને પોતપોતાનો સ્વાર્થ સાધવા મનતોડ મહેનત કરે છે. કોઈક ન વેચાતું વેચવા તો કોઈક સસ્તામાં કશુંક લેવા ગણતરીઓ માંડે છે. ઘણાં કૃષ્ણને પોતાનાં સુદામાઓ અને ઘણા સુદામાને પોતાના કૃષ્ણો એકાએક યાદ આવવા લાગ્યાં. 

નવા વર્ષે પણ જેનો સાલ મુબારક માટે ફોન નહોતો આવ્યો એવા કેટલાંય પોતાનો ઈગો, હોદ્દો, શરમ નેવે મૂકી, અચાનક પોતાના કાળાને ધોળા કરવા કે આપણા કાળાને કમિશનથી ધોળા કરી આપવા આગળ આવ્યા. આ જ તો પૈસાની તાકાત છે. પૈસાથી વસ્તુ તો ખરીદી જ શકાય છે પણ આ પૈસા જ માણસનું ઈમાન કે ગુમાન ખરીદી કે ગીરવે મૂકી શકે છે. પૈસા માટે ભલભલા જાતજાતનું સમાધાન કરવા કે એક કક્ષાથી નીચે ઉતરવા તૈયાર થઇ જાય છે. અપવાદો બધે જ હોવાના પણ અનુભવે અને અભ્યાસે એટલું સમજાણું છે કે આ પૈસા જ ન કરવાનું કરાવે. ખબર હોય કે ખોટું છે, નડશે છતાંય પૈસા માટે માણસ બદલી કે બહેકી શકે છે. 

પૈસાના કેસમાં માણસ બીજા કરતા પોતાનું પહેલા અને વધારે વિચારે. બીજાનું શું નુકશાન થશે એના બદલે ખુદને શું ફાયદો થશે એનો વિચાર પહેલો કરે. મોટેભાગે પૈસાની બાબતમાં એનું જે થવું હોય તે થાય એવું વિચારી, આપણે તો આપણું જ સાજું કરતા હોઈએ. પૈસા માટે જુના અને અંગત સંબધો દાવ પર મુક્યાના દાખલા મોજુદ છે. ભાગીદારો, ભાઈભાંડુઓ, ભાઈબંધો સાથેની તિરાડ કે તનાવનું મુખ્ય કારણ પણ પૈસા જ હોય છે. ઘણીવાર પછી આવી લાલચ, લોભ, દગો કે છેતરપિંડી માટે અફસોસ પણ થાય, સમજાય પણ વળી પાછી પૈસાની ઘેલછા હતા એવાને એવા કરી નાખે. 

મોદી સાહેબનો આ માસ્ટર સ્ટ્રોક બે ચાર કલાકમાં ઘણાનું ઘણું હતું એ ન હતું કરી નાખે ત્યારે વિચારોની આવી મેન્ટલ  સ્ટ્રાઇક થાય. ધીમે ધીમે સૌ સારા વાનાં થશે, ઘી ના ઠામમાં ઘી પડશે પણ આ સમયે સૌ કોઈને પોતાનાં તેમજ બીજાના પૈસા વિશે વાતો કરતાં, વિચારતાં, સમજતાં, ગણતરી કરતાં, સેટિંગ કરતાં, સમાધાન કરતાં, ઓફર મુકતા જોવાનો એક અલગ અનુભવ રહ્યો. 

પાણી પગ નીચે આવે ત્યારે સૌ કોઈ પોતપોતાનાં પાયસા પહેલા ચડાવે. સૌ કોઈ પોતપોતાનું સળગતું ઠારવા મંડી પડ્યા છે અને ઘણા આમાંથી પણ પાછા કમાય લેવા નીકળી પડ્યા છે. ઘણા ખુલ્લાં પડ્યા, ઘણા ઢંકાય ગયા. એક વાત નક્કી, આ પૈસા નો ભરોસો નહિ એ ગમે ત્યારે બદલી જાય અને ગમે તેને બદલી નાખે. વિચારજો.                     

1 comment:

  1. ખુબજ સારી વાત કરી છે જયેશભાઈ

    ReplyDelete