Friday, November 25, 2016

પોસ્ટ: 16 : તુજ સે નારાજ નહિ જિંદગી, હૈરાન હું મૈં

Phulchhab - 23rd Nov. 2016
ઘણીવાર ઘણું એવું ઘટે કે માન્યામાં જ ન આવે. અચરજ પમાડે. ક્યારેય વિચાર્યું કે ધાર્યું જ ન હોય એવું થઇ જાય. ભવિષ્યમાં આવું થાય કે આવું ન થાય એટલે અત્યારે બધા જ પ્રયાસો કર્યા પછી પણ એનાથી કશુંક અજુગતું થાય એવું આપણે સૌએ અનુભવ્યું હશે. એવા ઘણા આયોજન કર્યા હોય જેનું આખરી પરિણામ સાવ અલગ જ મળ્યું હોય. જવા ક્યાંક નીકળ્યા હોય અને પહોંચીયે ક્યાંક બીજે. જ્યાં પહોંચવાનો કશો વિચાર જ ન હોય અને ત્યાં પહોંચી જવાયું હોય. આમાં દર વખતે જે થાય છે તે ખોટું કે ખરાબ જ થાય છે તેવું નથી, ઘણું સારું અને સરસ પણ ધાર્યા કે વિચાર્યા વગર મળી જાય છે. ઘણા લાંબા ગાળાના પ્લાનિંગ સાથેના કશુંક મેળવવાના પ્રયત્નો પાણીમાં જાય છે તો ઘણું કશા જ પ્રયત્નો વિના પાણીની જેમ મળી જાય છે. આવું દર વખતે કે બધે જ થતું નથી પણ ક્યારેક ક્યારેક આવું થઇ જાય ત્યારે કુદરતની આ કરામત સમજ બહાર જાય. કોઈ સાથે રાખેલા જાળવેલા સંબધો કોઈ જ ખાસ કારણ વગર તૂટી જાય તો કોઈક કશા જ પ્રયત્ન કે પરિચય વગર અંગત થઇ સુખદુઃખ વખતે પડખે ઉભો રહી જાય. કોઈક સંઘર્ષ કરતા કરતા સારું ભણે ગણે, શીખે, સીધી લીટીથી જીવન જીવે છતાં એ નોકરી માટે દર દર ભટકે અને કોઈક જેવું તેવું ભણીને ફક્ત ડિગ્રીના દાવે કશી જ આવડત વિના સાતમું પગાર પંચ મેળવે. પથ્થરાં તરી જાય ને' ફૂલડાં ડૂબી જાય. 

કર્મ કર્યા પછીએ ઘણીવાર પૂરતું કે જોઈતું ફળ ન મળે તો ઘણીવાર આપણને કંઈક એવું મળી જાય જેના માટે આપણી લાયકાત કે તાકાત જ ના હોય. જિંદગીની ધારવી બહુ મુશ્કેલ છે અને એને  ધારવાની જ ના હોય, બસ માણવાની હોય અને એટલે જ આવું ક્યારેક સારું કે ખરાબ અણધાર્યું અજુગતું કે અચરજ પમાડનારું થાય ત્યારે એનાથી નારાજ થવાનો પ્રશ્ન જ નથી પણ હાં, આવું થાય ત્યારે આશ્ચર્ય જરૂર થાય. ક્યાંય કશાનો તાળો ન મળે ત્યારે નિયતિને આગળ ધરવી પડે. જે થવાનું છે તે થઈને રહેવાનું છે. જે અને જેટલું આપણા માટે છે તે મળવાનું જ છે, નથી એ ગમે તેમ કરીને મેળવ્યાં પછી પણ વહી જવાનું છે. કુદરતના ક્રમને, કરામતને આપણી બુદ્ધિ ક્યારેય પામી જ ના શકે. સાક્ષીભાવે આ બધું જોતા અને માણતા રહી પસાર થવા દેવામાં જ મજા છે. આજુબાજુ ઘણું એવું થાય છે, ચાલે છે જેમાં આપણો મગજ જ ન બેસે. સારા ની સામે સારું અને ખરાબની સામે ખરાબનું સમીકરણ ક્યારેક અને ક્યાંક ખોટું પડતું દેખાય. કોઈકનું બધું જ સાંગોપાંગ ઉતરી જાય અને કોઈકનો ક્યાંય મેળ જ ન પડે. 

વિચાર, વર્તન, વ્યવહારને આધારે કશુંક થશે જ કે મળશે જ એવું માનવું ભૂલભરેલું લાગે છે, અપેક્ષા કે આશા રખાય પણ એ પુરી થાય  એવું દરવખતે જરૂરી નથી પછી ભલે તમે તે માટે ગમે તેટલા યોગ્ય, લાયક, પ્રામાણિક કે પ્રયત્નશીલ હો. તમે બીજાનું ગમે તેટલું સારું રાખતા હો કે વિચારતાં હો એ તમારું સારું રાખશે કે વિચારશે એવું જરુરી નથી. કોઈ ઉપર આંખ મીંચીને ભરોસો રાખવો જરૂરી નથી. કોઈકને એના વાણી, વર્તન, વ્યવહારથી એ આવો કે તેવો છે એવું એના વિષે જજમેન્ટ લઇ લેવું પણ જરૂરી નથી. આપણે માનતા હોય એનાથી એ સાવ અલગ જ નીકળે. પળે પળે પરિવર્તનશીલ આ જિંદગીમાં શું, કયારે, કેમ, કેવી રીતે થશે એનો અંદાજ લગાડવામાં કે કશુંક આપણે ધારીએ એવું થાય એ માટે ધમપછાડા કરવામાં કે બીજા સૌને સારું લગાડવા, સૌને રાજી અને સારું રાખવામાં સમય બગાડવા કરતા એ સમયમાં જિંદગીને શોખ, રસ, મિજાજ, મૂડ, મસ્તીથી જીવી લેવામાં અને ખુદને ખુદથી રાજી રાખવામાં જ શાણપણ છે. વિચારજો.                    

3 comments: