Thursday, July 24, 2014

પોસ્ટ ૩: પરવરિશ એ જ પરિણામ

માણસના વિચાર-વર્તન, સ્વભાવ-સ્ટાઇલએ મોટેભાગે એમની પરવરિશનું પરિણામ હોય છે. એ સાચું કે જીનેટીકલી માતા-પિતાના લક્ષણો જન્મથી જ આપણામાં ઓછા-વત્તા અંશે હોય જ છે છતાં જન્મ બાદ થતી પરવરિશની અસર પણ મહત્વનો ભાગ ભજવે છે. પરવરિશ કરનારનો રોલ માતા-પિતા ભજવે છે, તેમની પણ તેમના બાળપણમાં પરવરિશ થઇ છે એટલે જયારે મા-બાપ તેના સંતાનની પરવરિશ કરે ત્યારે બાય ડીફોલ્ટ તેમાં પોતાની પરવરિશનું પ્રતિબિંબ પડે એટલે પેઢી દર પેઢી થતી રહેતી પરવરિશ એ ભૂતકાળમાં થયેલી પરવરિશનું જ પરિણામ હોય છે અને આથી જ પેઢી દર પેઢી ચાલતા આ પરવરિશના ક્રમને મહત્વ આપી અગ્રક્રમ આપવો જ પડે!

જિંદગીના તમામ કાર્યો કરવા માટે એક યા બીજી રીતે તાલીમ કે અનુભવની જરૂર પડે છે જયારે સંતાનની પરવરિશ કે માવજત માટે મા-બાપે ‘ફોર્મલી’ તાલીમ લીધી હોતી નથી કે તેમને મા-બાપ બનવાનો બહોળો અનુભવ પણ હોતો નથી! એટલે મોટાભાગે સમજ્યા કે વિચાર્યા વિના પોતાની થયેલી માવજત કે પરવરિશનનો આધાર લઇ ફરીથી પોતાના સંતાનોની પરવરિશ કરાય છે. મોટામાં મોટી તકલીફ એ છે કે સંતાનોની પરવરિશનું પરિણામ તે મોટા થાય ત્યારે જ બહાર પડે છે અને ત્યારે ‘પાકે ઘડે કાંઠા ન ચડે’ ના ન્યાયે તે પરિણામમાં બહુ મોટો ફેરફાર કરવો મુશ્કેલ છે. દાખલાનો જવાબ ખોટો આવે તો પાછો ગણાય પણ અહી તો શરૂઆતથી આખો દાખલો જ ખોટો હોય છે! અને સંતાનોની પરવરિશના પરિણામને બદલાવવા કે સુધારવા માટે રીવાઈન્ડનું બટન તો હોતું નથી!


મા-બાપ પોતાની સમજણ, શિક્ષણ અને સ્થિતિ અનુસાર પોતાના સંતાનનું ઉત્તમ ઘડતર કરવા હંમેશા તત્પર અને તૈયાર હોય જ છે પરંતુ માતા-પિતા મોટાભાગે પોતે ન કરી શક્યા હોય તે તેમનું સંતાન કરે એવું ઈચ્છતા હોય છે, આ બાબત પોઝીટીવ પણ છે પરંતુ આપણે એ જાણતા કે સમજતા ભૂલી જઈએ છીએ કે મારે જ્યાં મારા સંતાનને લઇ જવું છે ત્યાં આવવા મારું સંતાન ઈચ્છે છે?  મારે કલેકટર થવું હતું પણ થઇ શક્યો નહિ કારણકે મારા પિતાએ મને પ્રોફેસર બનાવવો હતો અને હું પ્રોફેસર થયો, હવે મારી દીકરીને હું કલેકટર બનાવવા ઈચ્છીશ અને કદાચ એ બનશે, પણ તેને જે થવું હશે તે નહિ થઇ શકે અને એટલે એને જે બનવું હતું તે તેના સંતાનોને બનાવવા ઈચ્છશે...બસ આવું ચાલ્યા રાખશે... હું ડોક્ટર થઇ શક્યો નહિ પણ મારે મારા છોકરાને ડોક્ટર જ બનાવવો જ છે એવો વિચાર જ પિતાની થયેલ પરવરિશનું પરિણામ છે. તેમને ઉંડે ઉંડેથી ડોક્ટર ન થઇ શકવાનો અફસોસ છે અને હવે તે ફરીથી પરવરિશમાં ભૂલ કરી પોતાની ઈચ્છા પોતાના સંતાન પર થોપે છે. તેમની ઈચ્છા યોગ્ય છે, પણ અમલ અયોગ્ય છે. 

ફક્ત કારકિર્દી કે કૈક બનાવવા માટે જ નહિ પરંતુ એટીકેટ, મેનર્સ, નમ્રતા, વિવેક, આદર, સમયભાન અને પાલન, મહેનત, અનુભવ, સાહસ, સમજણ, વર્તન, વિચાર, લાગણી, પ્રેમ, દયા, સહાનુભુતિ, કરુણા, આનંદ, મજા, સુખ, સંતોષ, આવડત, અધિકાર, ફરજ, જવાબદારી, જ્ઞાન, અનુભૂતિ, પ્રકૃતિ, સગવડ-અગવડ, સ્વભાવ, સેવા, સહયોગ, શિસ્ત અને શાંતિ જેવી ઘણી જિંદગીમાં જરૂરી બાબતો માટે પરવરિશ અગત્યનો ભાગ ભજવે છે. પૈસા, મિલકત અને માન વધારવામાં આપણે સૌ એટલા ખૂંચી ગયા છીએ કે આ બધું જેમના માટે કરીએ છીએ તે આપણા સંતાનને યોગ્ય રીતે ‘વધારવા’નું આપણે ભૂલી ગયા છીએ. નિરાંતે બેસીને વિચારશો તો ખ્યાલ આવશે કે આપણામાં રહેલી તાકાત અને ત્રેવડ તથા ત્રુટીઓ અને મર્યાદાઓનું મૂળ આપણી માવજતમાં છે. આપણી સારી નરસી બાબતો આપણી પરવરિશનું પરિણામ છે તો હવે ખુદ આપણામાંથી શીખીને આપણે આપણા સંતાનોને જરૂરી તેમજ યોગ્ય પરવરિશ આપવી જ રહી. વિચારજો.